મત માગવા માટે રવિવારે સુરત આવેલા વડાપ્રધાન મનમોહનસિંઘ તમે ૨૦૦૬માં સુરતમાં આવેલા પૂર વખતે કયાં ગયા હતા. સોનિયા ગાંધીએ ચૂંટણી પ્રચારમાં ગુજરાત માટે કેમ એક પણ આશ્વાસન આપ્યું નહીં?’ રવિવારની વડાપ્રધાનની સભા પછી સોમવારે મુખ્યમંત્રી મોદીએ કેન્દ્ર સરકાર પર આવા વળતા પ્રહાર સુરતમાં ભાજપની હોમપીચ એવા કોટસફિલ રોડ પર યોજેલી ભાજપની એક સભામાં કર્યા હતા.
સુરત બેઠક પર સર્જાયેલી પ્રવાહી સ્થિતિમાં સોમવારે શહેરમાં મુખ્યમંત્રીએ આઠ જ દિવસમાં બીજી સભાને સંબોધી હતી. તેમાં તેમણે રવિવારે સુરતમાં વડાપ્રધાનની સભામાં ગુજરાત સરકાર અને ભાજપ પર કરાયેલાં આકરાં શરસંધાન સામે વળતા પ્રહાર કર્યા હતા.
મોદીએ વડાપ્રધાન પર પ્રહાર કરતા કહ્યું કે ગુજરાતની આર્થિક રાજધાની સુરતમાં હમણાં ચૂંટણીમાં મત માગવા માટે આવ્યા પણ ૨૦૦૬માં સુરતમાં આવેલા પૂર વખતે કયાં ગયા હતા. સુરત આવવા માટે કાર્યક્રમ પણ નક્કી કરાયો હતો પણ છેલ્લી ઘડીએ વડોદરા એરપોર્ટ પર મુલાકાત લઈને ઔપચારિકતા પૂરી કરી હતી.
રૂપિયા આપી કેન્દ્ર ઉપકાર નથી કરતું
મોદીએ કેન્દ્ર સરકાર પર વાક્બાણ ચલાવતાં કહ્યું કે ગુજરાતમાંથી એકલાખ કરોડ રૂપિયા કેન્દ્રમાં જાય છે તેમાંથી એક ટકો રૂપિયા જ અપાય છે. આ રૂપિયા આપીને કેન્દ્ર સરકાર કોઈ ઉપકાર નથી કરી રહ્યું.
અડવાણી ચૂંટાશે તો પાંચેય આંગળી ઘીમાં
ગુજરાત સામે હાલની કેન્દ્ર સરકાર ઓરમાયું વર્તન રાખે છે પણ કેન્દ્રમાં એનડીએની સરકાર બનશે અને તેમાં વડાપ્રધાન તરીકે ગુજરાતમાંથી અડવાણી જશે તો ગુજરાતને લહેર થઈ જશે અને પાંચેય આંગળીઓ ઘીમાં હશે, તેમ કહી મોદીએ મતદારોનો સહયોગ માગ્યો હતો.
ગુજરાતને નજર નહીં લાગે
મોદીએ મતદાન કરવાની અપીલ કરતાં કહ્યું કે ગુજરાતની ચારેતરફ ચર્ચા ચાલી રહી છે પણ આ ગુજરાતને નજર લાગી જાય તેનો ડર છે. જો આ ડર ફગાવવો હોય તો મતદારોએ તેમણી આંગળી ઉપર કાળું તિલક કરીને નજર નહીં લાગે તેની તકેદારી રાખવી પડશે.
સોનિયાએ આશ્વાસન નથી આપ્યું
મોદીએ કોંગ્રેસ અઘ્યક્ષા સોનિયા ગાંધી ઉપર આરોપ મૂકતા કહ્યું કે ગુજરાતમાં તેમણે જેતપુર, હાલોલ અને ખેરાલું એમ ત્રણ સભા કરી છે. પણ ત્રણેય સભામાં ગુજરાતને કામ આવે એવું એક પણ આશ્વાસન કે ઇરાદો વ્યકત નથી કર્યો. જો વ્યકત કર્યોહોય તો ભાજપને જાકારો આપવાનો પણ તેમણે પડકાર ફેંકયો હતો.
સોનિયા ગાંધી મારી નકલ કરે છે
મોદીએ સોનિયા ગાંધી નકલ કરી રહ્યાં હોવાનો પણ આરોપ મૂકયો હતો. તેમણે કહ્યું કે જાહેર સભામાં હું જેવી રીતે લોકોને પ્રશ્ન કરી જવાબ બોલાવું છું, તેવો ચીલો સોનિયાએ પણ શરૂ કરી દીધો છે.
ગુજરાતના વિકાસનો કેન્દ્રે પણ સ્વીકાર કર્યો છે : મોદી
મોદીએ કહ્યું કે વડાપ્રધાને રવિવારે તેમના પ્રચારમાં ગુજરાતના વિકાસની વાતો ઉપર ગર્વ લીધો છે. આ વાતને કારણે વડાપ્રધાને ગુજરાત વિકાસ કરી રહ્યું છે. તેનો આડકતરો સ્વીકાર પણ કરી દીધો છે.




