કેન્દ્રમાં મજબૂત સરકાર બનાવવા માટે આતંકવાદ સામે લડવાનો ઇરાદો જોઇએ. ૪૬ની છાતી જોઇએ, મોતને મુઠ્ઠીમાં લઇને ફરવાની તાકાત જોઇએ, પણ તે કોંગ્રેસ પાસે નથી. ભાજપ અને મારી પાસે છે. મને ખબર છે કે આતંકવાદ સામેની લડાઇમાં એક દિવસ મારી શહીદી પણ નક્કી જ છે.
તો શું કામ લોકો માટે અને લોકોની વરચે નહીં શહીદ થાઉ? તેવી તેજાબી વાણી સાથે કોંગ્રેસની સામે આકરાં શરસંધાન તાકીને નરેન્દ્ર મોદીએ શહેરમાં ચૂંટણી સભાને ગજાવી હતી. પાટીદાર સમાજના મતોનું ડેમેજ અટકાવવાની મથામણ પછી ભાજપે સોમવારે મોડી સાંજે પુણા વિસ્તારમાં રત્નકલાકારોની વસતિ વરચે મુખ્યમંત્રી મોદીની ચૂંટણીસભા યોજી હતી.
તેમાં મુખ્યમંત્રી મોદીએ તેમના સવા કલાક જેટલા લાંબા સંબોધનમાં કોંગ્રેસને આડે હાથ લીધી હતી. વડાપ્રધાન મનમોહનસિંહ, સોનિયા ગાંધી અને યુપીએ સરકારને આતંકવાદ, મંદી, મોંઘવારી અને વિકાસના મુદ્દે ઝાટકણી કાઢી હતી.
તેમણે આતંકવાદના મુદ્દે કંદહાર, સંસદ અને અક્ષરધામનો હુમલો જેવા મુદ્દે ભાજપ ઉપર સોનિયા, મનમોહનસિંહ અને ગાંધી પરિવારના ભાજપ ઉપરના આરોપોને વખોડતાં કહ્યું કે કંદહારમાં દોઢસો નિર્દોષ લોકોને બચાવવાનો પ્રમાણિક પ્રયાસ હતો.
ચરારે શરીફની ઘટના અને મુફતી મહંમદની દીકરીને બચાવવા માટેનો પ્રયાસ ન હતો. તેમણે મુંબઇ હુમલાની અને બોમ્બ ધડાકાના મુદ્દા છેડી કહ્યું કે મુંબઇના હુમલા પછી એમેરિકા દોડવાની નહીં આતંકવાદ સામે લડવા માટે ૪૬ની છાતી જોઇએ. તે કોંગ્રેસમાં નથી. અમારામાં છે. મને એ પણ ખબર છે કે આતંકવાદ સામેની લડાઈમાં મારી પણ શહીદી નક્કી જ છે. પણ મને દેશના લોકો માટે અને લોકોની વરચે શહીદી વ્હોરવાની ચિંતા નથી.
આતંકવાદ સામે લડવા માટે ૪૬ની છાતી જોઈએ : મુખ્યમંત્રી મોદી




