
ગુજરાતમાં ચૂંટણી પ્રચારના પોતાના પ્રથમ પ્રવાસ દરમિયાન ગુજરાતના મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગઇકાલે ગુજરાતમાં મુસ્લિમોની હાલત અંગે પ્રકાશ ફેંકયો હતો. તેમણે જણાવ્યું કે, દેશના બાકીના રાજયો કરતા ગુજરાતમાં મુસ્લિમોની સ્થિતિ વધુ સારી છે. ગુજરાતને વિકસિત રાજય કહી ન શકાય એવી વડાપ્રધાન મનમોહનસિંઘે કરેલી ટિપ્પણી બાબતે મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીએ કટાક્ષ કરતા જણાવ્યુ હતં કે, સિંઘે દેશના લોકોને ગેરમાર્ગે દોરવા જોઇએ નહી.મનમોહન સિંઘે તાજેતરમાં મુંબઇમાં જણાવ્યું હતું કે, ૨૦૦૨માં ગોધરાકાંડ દરમિયાન લગભગ ૧૨૦૦ લોકોની ક્રુર હત્યા થઇ હોવાથી કોઇ પણ વ્યક્તિ ગુજરાતને વિકસિત રાજય કહી શકે નહીં. ખેડા મતક્ષેત્રમાં ચૂંટણી રેલી દરમિયાન મોદીએ જણાવ્યું હતું કે, રાજીવ ગાંધી ફાઉન્ડેશને જણાવ્યુ છે કે, ગુજરાત દેશમાં શ્રેષ્ઠ રાજય છે અને આ ફાઉન્ડેશનના ચેરમેન સોનિયાજી છે. આયોજન પંચે રાજય માટે ૯ ટકાની વૃદ્ધિનો લક્ષ્યાંક નક્કી કર્યો છે. ગુજરાત એવું રાજય છે, જેને પાછલા પાંચ વર્ષમાં ૧૦.૪ ટકાની સરેરાશ વૃદ્ધિ હાંસલ કરી હતી એવો મોદીએ દાવો કર્યો હતો. આ બધી બાબતોને ઘ્યાનમાં રાખતા વડાપ્રધાન રાજયમાં વિકાસ થયો નથી એવુ કેવી રીતે કહી શકે. સતા ધરાવતા લોકોએ દેશના નાગરિકોને ગેરમાર્ગે દોરવા ન જોઇએ એમ મોદીએ ઊંમેર્યુ હતું. ગુજરાતમાં મુસ્લિમો આર્થિક રીતે પછાત હોવા અંગે કરેલા અન્ય આક્ષેપનો ઉતર આપતા મોદીએ જણાવ્યું હતું કે, યુપીએ દ્વારા નિયુક્ત થયેલા સાચર કમીટીના અહેવાલ પ્રમાણે ગુજરાતમાં મુસ્લિમોની માથાદીઠ આવક દેશમાં સૌથી ઊંચી છે. બાલાસિનોર ખાતે પોતાના ૫૦ મિનિટના પ્રવચનમાં મોદીએ સાચર સમિતિના અહેવાલને ટાંકીને ઉપરોક્ત વાત જણાવી હતી. પોતે હિન્દુ-મુસ્લિમો વચ્ચે ભેદ કરતા નથી તેમ કહેતા મોદીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન અને કોંગ્રેસ હિન્દુ-મુસ્લિમોની વાત કરે છે. મોદીએ કહ્યું કે મારા માટે તો સાડા પાંચકરોડ ગુજરાતીઓ મહત્વના છે પછી તે હિન્દુ હોય કે મુસ્લિમ કોઇ ફેર પડતો નથી. કોંગ્રેસની નીતિઓને ઝાટકતા મોદીએ કહ્યું કે, કોંગ્રેસ મુસ્લિમો માટે અનામતની વાત કરે છે. આવી નીતિમાં દેશના ભાગલા કરી નાંખશે.
Get the Flash Player to see this player.




